સૌરાષ્ટ્રના યુવાન ક્રિકેટર અવિ બારોટનું ગઇકાલે રાત્રે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. અવિના નિધનના સમાચાર મળતાં જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકનું મોજ ફરી વળ્યું હતું. તેમની ઉંમર માત્ર 29 વર્ષની હતી.
અવિ બારોટ સારો બેટ્સમેન અને વિકેટકીપર પણ હતો. ગુજરાત સામેની રણજી ટ્રોફીમાં તેણે 45 બોલમાં 72 રન કર્યા હતા. આ વર્ષે તેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 53 બોલમાં 122 રન ફટકારી ટીમને જીતાડી હતિ.
અવિ બારોટના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનને દુખ વ્યક્ત કર્યું છે . SCAના ચેરમેન જયદેવ શાહે અવિ બારોટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મૂળ અમદાવાદના વતની અવિ બારોટ સૌરાષ્ટ્રની ટીમમાંથી ક્રિકેટ રમતો હતો.
તેના નિધનની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને પુષ્ટિ કરી હતી. ભૂતપૂર્વ ભારતીય અંડર -19 કેપ્ટન અવિ બારોટ પણ સૌરાષ્ટ્રની વિજેતા ટીમમાં હતો, જેણે 2019-20માં રણજી ટ્રોફીનો ખિતાબ મેળવ્યો હતો. આ સિવાય તેણે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.
અવિ બારોટ રાઈટ હેન્ડ વિકેટકીપર-બેટ્સમેન હતો. આ સિવાય તે ઓફ બ્રેક બોલિંગ પણ ક્યારેક ક્યારેક કરી લેતો હતો. તેણે પોતાના કેરિયરમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ A મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. તેણે પોતાના ફર્સ્ટ ક્લાસ કેરિયરમાં 1547 રન કર્યા હતા, જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને લોકલ ટી-20માં 717 રન બનાવ્યા હતા.
જ્યારે સૌરાષ્ટ્રએ 2019-20 સીઝનમાં બંગાળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો, ત્યારે અવિ બારોટ એ ટીમ મહત્વપૂર્ણ સ્થાનમાં હતો. સૌરાષ્ટ્ર માટે તેણે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક ટી 20 મેચમાં પોતાનું જાદુ બતાવ્યું હતું.