સુરત જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.બારડોલી તાલુકામાં ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.નગરના રહેણાંક વિસ્તારના કેટલાય ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને રસ્તા પર રાત વિતાવવી પડી હતી.
મીંઢોળા નદી બની ગાંડીતુર
બારડોલીમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે શહેરની મધ્યમાંથી પસાર થતી મીંઢોળા નદી પણ ઉપરવાસમાં વરસાદના કારણે ભરપૂર જોશમાં વહી રહી છે. બારડોલી નગરની વાત કરીએ તો નગરમાં મુશળધાર વરસાદને કારણે મોડી રાતથી ગાંધી રોડ પર રાજીવ નગર શેરી નંબર 1, 2 અને 3માં ગટરના પાણી લોકોના ઘરોમાં ભરાવા લાગ્યા હતા. સવારના 3 વાગ્યા સુધીમાં 35થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને મુશળધાર વરસાદમાં તમામ પરિવારોને પરિવાર સાથે આખી રાત રસ્તા પર વિતાવવી પડી હતી.
બારડોલી-કડોદ રોડ પર આવેલી શિવ શક્તિ સોસાયટીમાં
વિઠ્ઠલ વાડીના 150 જેટલા ઘરોમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.ત્યારે વાડીની દિવાલને અડીને આવેલી શિવશક્તિ સોસાયટીમાં 150થી વધુ મકાનો આવેલા છે. જેમાં વાડીઓમાં ભરાયેલા પાણી લોકોના ઘરો અને સોસાયટીઓમાં વહી જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ મામલો અનેક વખત રજુ કરવામાં આવ્યો છે. પરંતુ આ વાતને કોઈ જ ધ્યાનમાં લેતું નથી..
અવિરત વરસાદને કારણે બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદીની જળસપાટી સતત વધી રહી છે.આ નદી બારડોલીમાંથી થઈને વહે છે. તલાવડી વિસ્તારમાં નદી કિનારે અને કોર્ટની સામેના ખાડામાં કેટલાય પરિવારો રહે છે. ત્યારબાદ કેટલાક ઘરોમાં નદીના પાણી જતા રહેવાથી ત્યાના રહેવાસીઓને ભારે નુકસાન થયું હતું.