ભૂતકાળની રૂપાણી સરકારમાં ભાજપના કાર્યકરોની સાથે સાથે ધારાસભ્યોની પણ અવગણના થતી હોવાની ફરિયાદ બાદ આખી સરકાર ઘરભેગી કરવામાં આવી હતી.
ગુજરાતમાં નવી આવેલી ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓએ તેમાંથી બોધપાઠ લઈને કાર્યકર્તાઓના કામને મહત્વ તો આપે છે સાથે સાથે નવા મંત્રીઓ પોતાના જિલ્લા-તાલુકાના આગેવાનોને ખાસ ફોન કરીને સમસ્યાઓ પૂછીને ઉકેલ લાવવાની પણ ટ્રાય કરી રહ્યા છે.
ગુજરાતમાં નવી ભુપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ માળખાને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, ખાસ કરીને મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઓફિસ જતા પહેલા કે પછી સીધા જ સી.આર પાટીલના બંગલે આંટો મારીને જ મંત્રી બંગલે જતા હોવાની રસપ્રદ વાત જાણવા મળી છે.
ભાજપના જૂના મંત્રીઓને કાર્યકરોની સમસ્યા સાંભળવાના સૂચનનો અમલ શરૂ થયો હતો પણ તે અમલ બહુ લાંબો ન ટક્યો. થોડા જ સમયમાં મંત્રીઓની માયા કમલમ પરથી ચાલી ગઈ. જોકે હવે નવનિયુક્ત સમગ્ર મંત્રીમંડળ સંગઠનને સાથે રાખીને કામગીરી કરવા કહ્યું છે.
સંગઠન અને સરકારના આ નવા તાલમેલથી કાર્યકર્તાઓને પણ લાગી રહ્યુ છે કે હવે કાર્યકર્તાઓના કામને મહત્વ મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ સી.આર પાટીલે તમામ મંત્રીઓને સૂચના આપી દીધી છે કે, કાર્યકર્તાઓના કામને પ્રથમતા આપવી.
જેના પગલે નાનામાં નાનો કાર્યકર્તા પણ હવે મંત્રીઓને મળવા આવે છે અને પોતાના અધૂરા કામનું લિસ્ટ મંત્રીઓને સોપે છે. કેટલાક મંત્રીઓ વ્યક્તિગત રીતે તાલુકા અને જિલ્લા કક્ષાએ કાર્યકરો ને કોઈ સમસ્યા હોય તો જણાવવા માટે કહી રહ્યા છે.