10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી આવી રહી છે તો આ વખતે પણ ગઈ વખતે ની જેમ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર શ્રી દ્વારા નિયમોનું પાલન કરીને જ ઉત્સવ મનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિયમો પર નજર કરીએ તો ઘરની અંદર બે ફૂટની અને બહાર મંડપમાં ચાર ફૂટની મૂર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
સદીઓથી ચાલી આવતી લોકમાન્યતા મુજબ ગણેશ ચતુર્થી ઉપર માટીના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. કારણકે માટીએ પવિત્રતાનું પ્રતીક હોય છે. તદુપરાંત તો આપણા વેદોની વાત માનીએ તો મૂર્તિમાં જમીન, જળ, વાયુ , અગ્નિ અને આકાશ એમ પાંચેય તત્વો રહેલા હોય છે.
માટીના ગણેશજી જ કેમઃ- પ્રાચીન ગ્રંથ શિવમહાપુરાણમાં પણ ધાતુની જગ્યાએ માટીની મૂર્તિને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. વેદો મુજબ પ્રમાણે પીપળાના વૃક્ષની જડની માટીથી મૂર્તિ બનાવવી લાભદાયક મનાય છે. આ સિવાય ગંગા તીર્થ અને ચાર ધામ જેવી પવિત્ર જગ્યાએથી માટી લઇ શકાય છે.
જ્યાંથી માટી લેવામાં આવે તે જગ્યા એ ખાસ ધ્યાન રાખવું કે ત્યાંથી ઉપરથી ચાર આંગળી જેટલી માટી દૂર કરીને જ અંદરની માટી લઇને ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવવી હિતાવહ છે. વિષ્ણુધર્મોત્તરપુરાણ પ્રમાણે ગંગા અને અન્ય પવિત્ર નદીઓની માટીમાથી બનેલી મૂર્તિની પૂજા કરવાથી દરેક પ્રકારનાં પાપ દૂર થઇ શકે છે અને ઘરમાં લક્ષ્મી જીનો વાસ થાય છે.
માટીના ગણેશજી કેવી રીતે બનાવવાઃ- સૌ પ્રથમ માટીને એકથી કરીને સાફ જગ્યાએ રાખી દો. ત્યારબાદ તેમાંથી કચરો જેવો કે કાંકરા, પથ્થર અને ઘાસ કાઢીને એમાં હળદર, ઘી, મધ, ગાયનું ગોબર અને પાણી મિક્સ કરીને પિંડ બનાવી લો. હવે ” ૐ ગં ગણપતયે નમઃ “મંત્ર બોલીને ગણેશજીની સુંદર મૂર્તિ બનાવી લો.
આ પ્રકારે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાથી તેમાં ભગવાનનો અંશ આવે છે. માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી એક જ વાર માં કરોડો યજ્ઞનું ફળ મળે છે. માટીના ગણેશજીની સ્થાપના અને પૂજાઃ- ગણેશચતુર્થીએ વહેલી સવારે સ્નાન કર્યા બાદ થોડી ભીની માટીથી ગણેશજીની મૂર્તિ બનાવીને લેવી.
ત્યાર બાદ એના પર શુદ્ધ ઘી અને સિંદૂર મિક્સ કરીને શ્રૃંગાર કરવો. શ્રૃંગાર કર્યા પછી જનોઈ પહેરાવો. ત્યાર બાદ મૂર્તિને ઘરની ઉત્તર-પૂર્વ દિશા એટલે ઈશાન ખૂણામાં સ્થાપિત કરો. ધૂપ-દીવો પ્રગટાવો. દૂર્વા, ફળ-ફૂલ અર્પણ કરો. લાડવાનો ભોગ ધરાવો. કપૂર પ્રગટાવીને આરતી કરો. ગણેશ ઉત્સવમાં રોજ સવાર-સાંજ પૂજા કરો. અનંત ચતુર્થીએ આ મૂર્તિનું વિસર્જન કરો.