કારતક મહિનાની દેવ ઉઠી એકાદશી ના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામ અને તુલસીજીના વિવાહ કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને તુલસીજી ખૂબ જ પ્રિય છે. અને કોઈપણ વ્યક્તિ ભગવાન વિષ્ણુને માત્ર તુલસીના પાન અર્પણ કરી અને ખુશ કરી શકે છે. દેવઊઠી એકાદશીના દિવસે થતા આ તુલસી વિવાહ પાછળ પણ એક પૌરાણિક કથા છુપાયેલી છે તો ચાલો જાણીએ આ કથા વિશે.
રાક્ષસ કન્યા વૃંદાને મળેલા એક આશીર્વાદ અનુસાર ભગવાન વિષ્ણુને વૃંદા સાથે વિવાહ કરવા માટે શાલીગ્રામ નો અવતાર લેવો પડ્યો હતો. દેવ ઉઠી એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુને શાલિગ્રામના અવતારમાં તુલસીજી સાથે વિવાહ કર્યા હતા. અને આથી જ દર વર્ષે આ દેવ ઉઠી એકાદશી ના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે.હિન્દુ ધર્મગ્રંથો અનુસાર વૃંદા નામની એક કન્યા ના વિવાહ સમુદ્ર મંથનમાંથી નીકળેલ રાક્ષસ જલંધરની સાથે કરી દેવામાં આવ્યા હતા. હકીકતમાં ભગવાન વિષ્ણુની ભકત હતી અને સાથે સાથે એક પતિવ્રતા સ્ત્રી પણ હતી. જેના પુણ્ય થકી જલંદર વધુ શક્તિશાળી બની ગયો હતો. આથી ભગવાન શંકર સહિત દરેક દેવતાઓએ જલંધરનો નાશ કરવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ ધારણ કરી વૃંદા ની પવિત્રતા નષ્ટ કરી હતી.
જેવી જ વૃંદા ની પવિત્રતા ખતમ થઈ ગઈ કે તરત જ જલંધરની શક્તિઓ પણ ખતમ થઈ ગઈ. અને ભગવાન શંકરે આ જલંધર નો નાશ કર્યો હતો. અને જ્યારે વૃંદાને ભગવાન વિષ્ણુની આ માયા વિશે ખબર પડી ત્યારે તે ખુબ જ કોપાયમાન થઈ અને ભગવાન વિષ્ણુને એક કાળો પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો. આ ઉપરાંત વૃંદાએ ભગવાન વિષ્ણુને એ પણ શ્રાપ આપ્યા હતા કે તે પોતાની પત્નીથી વિખૂટા થઈ જશે. અને આથી જ રામ અવતાર ની અંદર ભગવાન શ્રીરામ માતા સીતા થી વિખૂટા પડી ગયા હતા.
આમ વૃંદાના આ શ્રાપ ના કારણે ભગવાન શ્રી વિષ્ણુ શાલીગ્રામ ની અંદર પરિવર્તિત થઈ ગયા હતા. ત્યારે દરેક દેવી-દેવતાઓએ વૃંદાને પ્રાર્થના કરતા એ પોતાનો શ્રાપ પાછો લીધો હતો. અને પોતાના પતિ જલંધરની ચિતામાં સતી થઇ ગયા હતા. ત્યાર બાદ તેની રાખ માંથી એક છોડ ઊગ્યો હતો જેને ભગવાન શ્રી વિષ્ણુએ તુલસી નામ આપ્યું હતું. અને પોતે શાલીગ્રામ ના રૂપમાં પરિવર્તિત થઈ તુલસીજી સાથે વિવાહ કર્યા હતા.