જયારે યુદ્ધ પછી શ્રીકૃષ્ણ દ્વારકા પરત ફરી રહ્યા હતા, ત્યારે કુંતીએ શ્રીકૃષ્ણ પાસે ભેટમાં દુ:ખ કેમ માંગ્યું?

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. યુધિષ્ઠિરે હસ્તિનાપુરની રાજગાદી સંભાળી લીધી હતી. પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. એક દિવસ પાંડવો ઈચ્છતા ન હતા તેવી પળ આવી. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા પરત ફરી રહ્યા હતા. પાંડવો દુ:ખી હતા. પરંતુ શ્રી કૃષ્ણએ તો પરત જવાનું જ હતું.

પાંડવો અને તેમનો પરિવાર શ્રીકૃષ્ણને નગરની સીમાડા સુધી વિદાય આપવા ગયો. બધાની આંખમાં આસું હતા. કોઈ શ્રીકૃષ્ણને જવા દેવા માગતા ન હતા. ભગવાન એક એક કરીને બધા સ્નેહીજનોને મળી રહ્યા હતા. ભગવાન તમામને કોઈને કોઈ ભેટ આપીને વિદાય લઈ રહ્યા હતા. અંતમાં તેઓ કુંતી માતા પાસે ગયા.

ભગવાને કુંતી માતાને કહ્યું કે તમે મારી પાસે કંઈ ન માંગ્યું. આજે કંઈક માંગી લો. હું તમને કંઈક આપવા માંગુ છું. કુંતીના આંખમાં આંસુ આવી ગયા. તેમણે રડતા રડતા કહ્યું કે શ્રીકૃષ્ણ જો તુ મને કંઈ આપવા માંગે છે તો દુ:ખ આપ.હું ખુબ દુ:ખ ઈચ્છું છું. આ સાંભળી શ્રીકૃષ્ણ આશ્ચર્યમાં પડી ગયા.

શ્રીકૃષ્ણએ પૂછ્યું કે તમે આવું કેમ ઈચ્છો છો? કુંતીએ જવાબ આપ્યો કે જીવનમાં દુ:ખ રહે છે તો તમારું સ્મરણ રહે છે. દરેક ક્ષણે તુ યાદ આવે છે. સુખમાં તો ક્યારેક ક્યારેક તારી યાદ આવે છે. દુ:ખ હશે તો તારી યાદ આવશે અને તારી યાદ આવશે તો તારી પૂજા અને પ્રાર્થના પણ કરી શકીશ. પ્રસંગ નાનો છે પરંતુ મોટો સંદેશ આપે છે. ઘણા લોકો ભગવાનને દુ:ખમાંજ યાદ કરીએ છીએ, જેવી પરિસ્થિતિ અનુકૂળ બની જાયે તેવો વ્યક્તિ ભગવાનને ભૂલી જાય છે. 

Leave a reply:

Your email address will not be published.

Site Footer